પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના કાનોસણ ગામે ચકચારી ઘટના સામે આવી છે.વહેલી સવારે પત્ની વાડામાં જતાં લીમડાના ઝાડ સાથે ગળે ફાંસો ખાધેલ હાલતમાં લટકેલા પતિનો મૃતદેહ જોતાં ચોંકી ઉઠી હતી અને બૂમાબૂમ કરતાં પરિવારજનોઅે દોડી આવી પોલીસને જાણ કરતાં ડીવાયએસપી સહિત વાગડોદ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. મૃતકની હત્યા કરાઈ હોવાના આક્ષેપ પરિવાર દ્વારા કરાયા છે. લીમડાના ઝાડ નીચે પગ જમીન સાથે અડીને હોય તેવી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો હોઇ હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય ઘૂંટાતા પોલીસે મૃતદેહ પીએમ અર્થે ખસેડી FSLની ટીમ સ્થળ ઉપર બોલાવી તપાસનો દોર શરૂ કર્યો હતો. મોડી સાંજે પોલીસ ડોગ સ્ક્વોડ દ્વારા સ્થળ તપાસ કરી હતી.પરંતુ મોડી સાંજ સુધી હત્યા કે આત્મહત્યા અંગે કોઈ તથ્ય સામે આવ્યું ન હતું.
કાનોસણ ગામે શુક્રવારે વ્હોળાના કિનારે ઘર નજીકના વાડામાં 50 વર્ષના ઠાકોર તેજમલજી અજમલજીનો મૃતદેહ લીમડાના ઝાડ સાથે દોરડાંથી ગળે ફાંસો લગાવેલી હાલતમાં મળી આવ્યાં હતા. ઘટનાના પગલે પરીવાર દ્વારા પોલીસને જાણ કરતાં વાગડોદ પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહ ઝાડ પરથી ઉતારી પંચનામું કરી જંગરાલસામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખેસડી પીએમ કરાવ્યું હતું. હાલમાં અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે પરિવારના મોતના આક્ષેપ હોઇ શંકાના આધારે તપાસનો દોર શરૂ કર્યો છે.
હાલમાં હત્યાના કોઈ સંકેત મળ્યા નથી : પોલીસ તપાસ અધિકારી વાગદોડ PSI પી.એમ.બોડાણાંએ જણાવ્યુ કે મૃતદેહનું પેનલ ડોક્ટર દ્વારા પીએમ કરાવ્યું છે. જેમાં પ્રાથમિક દૃષ્ટિએ શ્વાસ રુંધાવાથી મોત થયું છે. શરીરે અન્ય કોઈ ઇજા કે બળજબરીનો પ્રયોગ થયો હોય તેવા ચિહ્ન દેખાયા નથી. પ્રાથમિક તપાસમાં હજુ સુધી હત્યાના કોઈ સંકેત મળ્યા નથી. પરંતુ પરિવારનો આક્ષેપ હોય અમે FSL ટીમ અને ડોગ સ્ક્વોડ ટીમને સાથે રાખી તપાસ કરી રહ્યા છીએ. ગળે ફાંસો બાંધેલ હોય પગ જમીનને અડકેલા હોય હત્યા હોવાની આશંકા છે કે કેમ તે અંગે પોલીસે પૂછતાં પીએમ કરનાર પેનલના સભ્ય ડો.નિરવે જણાવ્યું હતું કે ગરદનની 1.50 કિલો ગ્રામ વજન સહન કરવાની ક્ષમતા હોય છે.એટલે ગળે ટુંપો આવતા જમીનને પગ અડેલા હોય તો પણ મોત થઈ શકે છે.
પરિવારને હત્યા કરાઈ હોવાની શંકા છે
તેજમલજીનો મૃતદેહ લીમડાના ઝાડ સાથે લટકતો મળ્યો હતો. તેમના મૃતદેહ અને ઝાડની ડાળી વચ્ચે વધુ અંતર નથી. તેમના પગ જમીનને અડેલા હતા.જાણે કે તેમને દોરડાંથી બાંધીને ઉભા રાખ્યા હોય એવું દેખાતું હતું. ઝાડની ડાળીથી બાંધેલ દોરડું અને મૃતકના પગ ઢીંચણમાંથી વળી ગયેલ અને જમીનને અડી રહેલ હોવાથી કોઈએ હત્યા કરી હોય એવું લાગે છે. જેથી આ બાબતે તપાસ કરી અમને ન્યાય મળે એવી અમારી માંગ છે તેવી પુત્ર અને પત્નીએ આપવીતી વ્યક્ત કરી હતી.
બે દિવસ પૂર્વે મારામારીમાં મૃતક સામે ફરિયાદ નોંધાઈ હતી
મૃતક તેજમલજીની હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય ઘૂંટાયું હતું. ઘટના પૂર્વેની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે બે દિવસ પૂર્વે જ ઘર પાસે ગામના સમાજના કેટલાક ઈસમો સાથે તેમને મારામારી થઈ હતી. જેમાં સામેના પક્ષો દ્વારા તેમની સામે વાગડોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી તેવું પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું.
આમ પરિવારનું કહેવું છે કે હત્યા કરવામાં આવી છે ત્યારે સમગ્ર મામલાની પોલીસ પણ તપાસ કરી રહી છે.પોલીસે FSL અને ડોગ ની મદદ લઈ તપાસ હાથ ધરી છે.ત્યારે હત્યા કે આત્મ હત્યા તપાસ બાદ જ ખબર પડશે.