*બે સાહેદોની જુબાનીને અવિશ્વસનીય ગણાવી,3000ની લાંચ કેસમાં વાગુદડના તલાટી મંત્રીને 3 વર્ષની સખત કેદની સજા અને 50 હજારનો દંડ ફટકારાયો*
ACB કેસમાં તલાટીને કોર્ટે સજા ફટકારતાં ચકચાર મચી છે.વર્ષ 2007માં વાગુદડ ગામ તલાટી મંત્રી તરીકે ફરજ બજાવતા આરોપી લાધા રૈયાણીને રેવન્યુ રેકર્ડમાં દસ્તાવેજની નોંધ કરી આપવા માટે રૂ.3000ની લાંચ લેવા બદલ રાજકોટની એ.સી.બી. કેસના સ્પેશ્યિલ જજ એસ.વી. શર્માએ આરોપીને 3 વર્ષની સખત કેદની સજા અને રૂ.50,000નો દંડ ફરમાવેલો છે.
*2007માં લાંચના છટકામાં તલાટી ઝડપાયો*
વર્ષ 2007માં રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકાના વાગુદડ ગામે તલાટી મંત્રી તરીકે ફરજ બજાવતા લાધાભાઈ ઉર્ફે લલીતભાઈ સવદાસભાઈ રૈયાણી હાલ (ઉ.વ.71) એ ફરિયાદી લક્ષ્મણભાઈ ઘુસાભાઈ સાકરીયા પાસેથી લીધેલી જમીનના દસ્તાવેજની રેવન્યુ રેકર્ડમાં નોંધ કરી આપવા બદલ રૂ.3000ની લાંચની માંગણી કરેલી હતી. આ મુજબની માંગણી થતાં ફરિયાદીએ એ.સી.બી.માં ફરિયાદ નોંધાવતા તા. 12.10.2007ના રોજ આરોપી લાંચના છટકામાં લાંચ લેતા ઝડપાઈ ગયેલ હતા.
બિયારણ માટે ઉછીના લીધેલા રૂપિયા લાંચમાં આપ્યા ચાર્જશીટ રજૂ થયા બાદ સરકાર તરફે આરોપી વિરુધ્ધના તમામ પુરાવા રજૂ કરવામાં આવેલા. આરોપીએ પોતાના બચાવમાં સાહેદ તરીકે પોતાના પુત્રની જુબાની નોંધાવી જણાવેલું હતુ કે ફરિયાદીએ રૂ.3000 આરોપી પાસેથી બિયારણ ખરીદવા માટે અગાઉ ઉછીના લીધેલા હતા, તે રકમ લાંચના છટકાના દિવસે પાછા આપવા આવેલા હતા. આ રીતે ફરિયાદીએ જે રૂ.3000 આરોપીને આપેલા હતા, તે ઉછીની રકમ પાછી આપવા પેટે દેવાયેલા હતા અને લાંચની રકમ ન હતી.
*સરકારી વકીલની રજૂઆત*
સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ એસ.કે.વોરાએ રજૂઆત કરેલી કે આરોપીએ પોતાના દીકરાની જુબાની નોંધાવી જે બચાવ ઉભો કરેલા છે, તે બચાવ લાંચના છટકાના દિવસે ટ્રેપીંગ ઓફિસર પાસે લેવામાં આવેલા નથી. આરોપીએ પોતાની વર્ષ 2007ની પ્રથમ જામીન અરજીમાં પણ આ બચાવ લીધેલા નથી, ચાર્જશીટ રજૂ કરવા માટે જે ઉપરી અધિકારીએ મંજૂરી આપેલી હતી. તેઓ સમક્ષ પણ આ આરોપીએ આ બચાવ લીધેલા નથી. તેમજ કોર્ટે આરોપી વિરુધ્ધ તહોમતનામું ફરમાવેલું ત્યારે પણ આ બચાવ લીધેલું નથી.
*ફરિયાદીએ આરોપીને દુશ્મનાવટમાં ફસાવ્યા એવી ફરિયાદ પણ નહીં*
આ ઉપરાંત ફરિયાદીએ લાંચના છટકામાં આરોપીને કયા પ્રકારની દુશ્મનાવટના કારણે ખોટી રીતે ફસાવી દીધેલા છે, તેમ પણ આરોપીએ ક્યાંય જણાવેલ નથી. જ્યારે રૂ.3000 ફરિયાદી પાસેથી સ્વીકારેલી હોવાનું આરોપી કબૂલતા હોય ત્યારે છટકાના દિવસે આરોપીએ લાંચની રકમ પોતાના પેન્ટના ખિસ્સામાં રાખેલી હતી, તે પેન્ટ તેમનું હોવાનો ઈન્કાર કરવાની કોઈ જરૂર નથી. આ રીતે બિનપાયાદાર બચાવ સમજ્યા વિના લેવામાં આવેલા હોય ત્યારે આરોપીએ સ્વીકારેલી રકમ લાંચ પેટે હતી, તે આપોઆપ સાબિત થાય છે. આ તમામ દલીલોને ધ્યાનમાં લઈ ખાસ અદાલતના જજ એસ.વી.શર્માએ આરોપી લાધાભાઈ ઉર્ફે લલીતભાઈ સવદાસભાઈ રૈયાણીને 3 વર્ષની સખત કેદની સજા અને રૂ.50,000નો દંડ ફરમાવેલો છે. આમ કોર્ટમાં કેસ ચાલી જતાં તલાટીને સજા ફટકારતાં ફફડાટ જોવા મળ્યો હતો.