ભેડીયા બંધ થતાં ઉદ્યોગોની ખપત કોણ પુરી પાડશે તે બન્યો યક્ષ પ્રશ્ન
તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા નિર્ણય થકી લીઝ ધારકો એન્વાયરમેન્ટ સર્ટીફીકેટ વિના ઓનલાઇન રોયલ્ટી પ્રવાહિત ન કરી શકતા હોવાથી કચ્છ જિલ્લાની 355 હયાત લીઝ અંગે અનેક સવાલો ખડા થયા છે. જયારે બે દાયકા અગાઉ અકલ્પનિય વિકાસને વરેલ ઔદ્યોગિક નગરી મુન્દ્રા મધ્યે સતત નવા ઉદ્યોગોનું આગમન થઇ રહ્યું છે ત્યારે ચોમેર પથરાયેલા એકમની ખનીજ લક્ષી ખપત કોણ પુરી પાડશે તે યક્ષ પ્રશ્ન બનવાની સાથે આગામી સમયમાં જો સકારાત્મક અભિગમ સાથે નીતિ વિષયક નિર્ણય ન લેવાય તો કચ્છનું સિંગાપુર બનવા જઈ રહેલા મુન્દ્રાના વિકાસનો મૃત્યઘંટ વાગી જવાની દહેશત ઉભી થઇ છે.
ખનીજક્ષેત્ર સાથે સંકળાયેલા વેપારીઓના જણાવ્યા મુજબ અગાઉ આઈ સી (એન્વાયરમેન્ટ સર્ટીફીકેટ)આપવા જિલ્લા સ્તરે સમિતીની રચના કરાઈ હતી. પરંતુ હાલ ફક્ત સ્ટેટ લેવલની આઈસી માન્ય ગણાતી હોઈ અનેક સમસ્યાઓ ઉભી થઇ છે. સ્થાનિકે આવેલા નવા ઉદ્યોગોની તાતી જરૂરિયાત સમી બ્લેકટ્રેપ, બેન્ટોનાઇટ, મોરમ,સાદી માટી તથા રેતી સપ્લાય કરવા પર રોક લાગી છે.અને અંદાજિત દસ થી વધુ ભેડીયા ના ભાવિ અંગે પ્રશ્નાર્થ સર્જાયા છે.
2019 પહેલાં પાંચ હેકટરથી ઓછી લીઝ ધરાવતા ધારકોને ઇસી તથા માઇનિંગ પ્લાન લેવાની જરૂર રહેતી ન હતી.તેમજ ખપત અને પ્રોડક્શન મુજબ તેમની રોયલ્ટી ઓનલાઇન જનરેટ થતી હતી,હવે દીર્ઘદ્રષ્ટિ સાથે લીઝધારકોને મુદત અપાય અથવા તો જુના નિયમ મુજબની છુટછાટનો નિર્ણય લેવાય તો ઉદ્યોગોની માંગ મુજબ ખનીજ સંપદાની પૂર્તિ શક્ય બનશે. નહીંતર આગામી સમયમાં તમામ લીઝ સ્થગિત થવાની પરિસ્થિતી નિર્માણ પામી છે.નવો નિયમ ખનીજ ચોરીને પ્રોત્સાહનરૂપ? મુન્દ્રા પંથકમાં છેલ્લા ઘણા વર્ષોથી રેતી માટેની લીઝ અપાઈ ન હોવા છતાં બેફામપણે રેતી ચોરી થતી હતી.
જેમાં બેન્ટોનાઇટની તસ્કરી પણ સામેલ છે. અને હવે આગામી સમયમાં રાજ્ય સરકાર દ્વારા લીઝ ફાળવણી અંગે પારદર્શી નિર્ણય ન લેવાય તો ઉધોગોની માંગને પહોંચી વળવા અન્ય ખનીજ સંપદાનું પણ ગેરકાયદેસર ઉલેચન જારી રહેશે. આમ સરવાળે ઉપરોક્ત નિર્ણય ખનીજ ચોરીને આડકતરી રીતે પ્રોત્સાહનરૂપ સાબિત થવાનો ભય ખનીજ સપ્લાય કરતા વર્તુળો વ્યક્ત કરી રહ્યા છે.